ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાનાં શંકાસ્પદ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જનાના હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ દર્દી દાખલ થયો છે. કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની શંકાના આધારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે ગોંડલનું 3 વર્ષનું બાળક સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જનાના હોસ્પિટલમાં હાલ 9 દર્દીઓ દાખલ છે.
સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડાનાં જણાવ્યા મુજબ, ગત તા. 26 જુલાઈના ગોંડલથી 3 વર્ષના બાળકને ચાંદીપુરાની શંકાના આધારે જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેને તા. 8 ઓગસ્ટના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે તા. 8 ઓગસ્ટના વધુ એક દર્દી દાખલ થયું છે. મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો અને 2 દિવસ પહેલાં પરિવાર સાથે જામનગરના કાલાવડ આવેલા 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની શંકાના આધારે દાખલ કરવામાં આવ્યું છે, જેની સારવાર હાલ ચાલી રહી છે.