15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન’ થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ‘હર ઘર તિરંગા’ યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં આગામી તા.10 ઓગસ્ટથી તા.14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને સૂચના આપી હતી.