રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા છેલ્લાં બે સપ્તાહથી શહેરના જુદા-જુદા વોર્ડમાં ‘મેયર તમારે દ્વાર’ નામથી લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત આજે પણ શહેરના વોર્ડ નં. 11માં પણ લોકદરબાર યોજાયો હતો, જેમાં કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ સફાઈ સહિતના વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માગ પણ કરવામાં આવી હતી. નયનાબાએ કહ્યું હતું કે પ્રી-મોન્સૂનના નામે તમારું કામ ઝીરો છે, આથી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અકળાયા હતા અને રોષે ભરાઈ જણાવ્યું હતું કે આ લોકો માટેનો દરબાર છે, કોઈ રાજકીય અખાડો નથી, ત્યારે અહીં રાજકારણ થવું જોઈએ નહીં.
નયનાબાએ લોકદરબારમાં જણાવ્યું હતું કે જડ્ડુઝ રેસ્ટોરન્ટ પાસે જોઈ આવો… કચરો સાફ કરનારા કચરો સાફ કરી ત્યાં જ નાખી દે છે, ગંદકીને કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. શાક માર્કેટ ભરાય છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા નથી. મવડીને તમે RMCમાં ભેળવ્યું છે ત્યાં કોઈ એનો રેકોર્ડ આપતા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પેશનમાંથી કોઈ રેકોર્ડ માગવામાં આવે છે તો કોઈ આપતું નથી. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અકળાયા હતા અને જવાબ આપતાં જણાવ્યું હતું કે આ લોકો માટેનો દરબાર છે, કોઈ રાજકીય અખાડો નથી, ત્યારે અહીં રાજકારણ થવું જોઈએ નહીં.