જેતપુરમાં રેલવે ટ્રેક પરથી 20 દિવસ અગાઉ એક પરપ્રાંતિય યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને પહેલાં જેતપુર, જુનાગઢ અને બાદમાં અમદાવાદ સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં સારવાર કારગત નીવડતાં તેનું મોત નીપજ્યું હતું. જો કે આ ઘટનામાં નવો વળાંક એ આવ્યો કે એ યુવકનું મોત અકસ્માતે ઇજાથી નહીં, હત્યા જ હતી. પરિણીતા સાથે અનૈતિક સંબંધમાં નડતરરૂપ પતિને પ્રેમી કમ કૌટુંબિક ભાઇએ જ બોથડ પદાર્થથી માર મારી પોતાના કરતૂતોનો ખ્યાલ ન આવે તે માટે રેલવે ટ્રેક પર મૂકી આવ્યો હતો.આ બાબતની કબુલાત પ્રેમીએ જ પરિણીતા સાથે વાત વાતમાં કરી લેતાં ઘટનાનો ભાંડાફોડ થયો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મીરજાપુર જિલ્લાના ભડેવલનો બબલુ મનુભાઈ બિંડ ઉ.વ. 45 નામનો શ્રમિક પાંચ વર્ષ પૂર્વે જેતપુરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવ્યો હતો. અહીં તેમના બે સાળા અને કૌટુંબિક ભાઇ મનોજ વિજય બિંડ પહેલાથી જ કારખાનાંમાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતાં. બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા અને મીતા તમામની રસોઈ કરતી હતી.ગત તા 26 જૂને બબલુ કામ કરવા નીકળી ગયો હતો અને વહેલી સવારે મનોજે ઘરે આવીને મીતાને જગાડીને જણાવ્યું કે બબલુને ટ્રેનની ઠોકરે ગંભીર ઇજા પહોંચી છે. આથી તાબડતોબ બબલુને જેતપુર, બાદમાં જૂનાગઢ અને અમદાવાદ સારવાર માટે લઇ જવાયો હતો પરંતુ ઇજા ગંભીર નીવડી હતી અને બબલુનું મોત થયું હતુ અને ત્યાં જ પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં મનોજ પણ સાથે જ રહ્યો હતો.