રાજકોટની ભાગોળે આવેલા ઈશ્વરીયા પાર્કનાં તળાવમાં મેરીટાઈમ બોર્ડની મંજૂરી બાદ જ બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. અહીં એ ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના બાદ રાજયમાં 44 માંથી 40 જેટલા જળાશયોમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન રાજકોટનાં ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓના આકર્ષણના કેન્દ્ર સમાન બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ હાલ તળાવમાં પાણી તો આવ્યું છે, પરંતુ હવે મેરીટાઇમ બોર્ડની મંજૂરી બાદ જ ઈશ્વરીયા પાર્કમાં બોટિંગ શરૂ થવાના નિર્ણયથી રાજકોટવાસીઓને બોટિંગ માટે હજૂ વધુ સમય રાહ જોવી પડશે.
રાજકોટના સહેલાણીઓના હરવા ફરવાના સ્થળ ઈશ્વરીયા પાર્ક જતા તળાવમાં પણ છેલ્લા લાંબા સમયથી સાવચેતીના પગલા રૂપે બોટીંગ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ આગામી જન્માષ્ટમી સુધી બોટિંગ શરૂ થવાની શકયતા નહીંવત છે. જોકે ઈશ્વરીયા પાર્કનાં તળાવમાં હાલ ચોમાસાની ઋતુમાં તળાવમાં પાણી આવ્યું છે. કલેકટર તંત્ર દ્વારા બોટિંગની સુવિધા માટે મેરીટાઈમ બોર્ડને પત્ર પાઠવવામાં આવી છે. મેરીટાઈમ બોર્ડ દ્વારા આ અંગેની એસ.ઓ.પી.તૈયાર થવા બાદ જ ઈશ્વરીયા પાર્કના તળાવમાં લેવલીંગ સુવિધા શરૂ કરવા માટે લીલીઝંડી મળનાર હોવાનું જાણવા મળ્યું છે.