રાજકોટની બી.એ.ડાંગર કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીનુ ઇન્સ્પેક્શન થયા બાદ NCH એ 2 જુલાઇએ કોલેજની માન્યતા રદ કર્યાનો પત્ર મળતાં ફફડાટ ફેલાયો છે. હોમિયોપેથી કોલેજોમાં અધ્યાપકોની લાયકાત તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભણતર સહિતની બાબતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ. જોકે, ભાજપના આગેવાન એવા કોલેજ સંચાલકનો સંપર્ક કરતા તેમણે આ ઇન્સ્પેક્શનને રૂટિન ગણાવ્યું હતુ. આ પ્રકારનું ઇન્સ્પેક્શન અન્ય કોલેજોમાં પણ થશે તેવું તેમણે જણાવ્યું હતું. જોકે એક ચર્ચા મુજબ, ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતા નાણાં, કાગળ ઉપર ફરજ બજાવતા અધ્યાપકો અને ખરા અર્થમાં હોસ્પિટલ ન હોવા સહિતના ગોટાળા મામલે પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ ઇન્સ્પેક્શન થયું હતુ.
ડાંગર હોમિયોપેથી કોલેજના સંચાલક જનક મેતાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નેશનલ કમિશન ફોર હોમિયોપેથીનુ ઇન્સ્પેક્શન કરવામા આવ્યુ હતુ પરંતુ, આ પ્રકારનું ઇન્સ્પેક્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અન્ય 8 કોલેજમાં પણ આવતું હોય છે. હોમિયોપેથીમાં સારા તબીબો બને તે માટે કાઉન્સિલ પ્રયત્નો કરતું હોય છે. જે સમયે ટીમ ક્લાસમાં પહોચી હતી અને વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, તમને જે અધ્યાપકો ભણાવે છે તે યોગ્ય રીતે સમજાય છે કે કેમ ? હોસ્પિટલ યોગ્ય રીતે ચાલે છે કે નહીં? આ તમામ પ્રકારની તપાસ કરી હતી. હાલ આ કોલેજમા BHMS (બેચલર ઓફ હોમિયોપેથીક મેડીસીન એન્ડ સર્જરી)નો કોર્સ ચાલે છે. જ્યાં પ્રિન્સીપાલ ડૉ. એમ. એલ. મિશ્રા અને વાઈસ પ્રિન્સિપાલ જયંત વિશ્વાસ છે. પૂર્વ પ્રિન્સિપાલને દૂર કરવામાં આવતા આ બધું થઈ રહ્યું હોવાનો એકરાર કોલેજ સંચાલકે જે-તે વખતે એકરાર કર્યો હતો.