રાજકોટ જિલ્લામાં તા.16થી 17 જુલાઈ દરમિયાન મહોરમ (તાજીયા)ની ઉજવણી થનાર છે, ત્યારે આ તહેવારની ઉજવણી સરળતાથી થઈ શકે અને કોઈ અકસ્માત કે દુર્ઘટના ના થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 18મી જુલાઈ સુધી પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતું જાહેરનામું જારી કરાયું છે.
9 ફૂટ કરતા વધુ ઊંચાઈના તાજીયા બનાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તાજીયામાં લોખંડના સળિયા કે વીજળી વહન થતી હોય તેવી કોઈ અન્ય વસ્તુ કે પદાર્થનો ઉપયોગ કરવો નહીં. સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય તાજીયાના ઝુલુસ કાઢવા નહીં. મંજૂરીમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નીકળવું નહીં. મંજૂરીમાં દર્શાવેલી સમયમર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે. જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને જીસીપીસીના જાહેરનામા મુજબ, રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.