સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને આજીવન જીવે ત્યા સુધીની કોર્ટે સજા ફટકારી છે. 2022માં વાંકાનેરના વઘાસિયા ગામના આરોપી સંજય બારૈયાએ રાજકોટના સંતકબીર રોડ પરથી સગીરાનું અપહરણ કર્યું હતું. ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ અનેકવાર શરીર સંબંધ બાંધ્યાનું તપાસમાં બહાર આવ્યા બાદ પોક્સોની કલમ ઉમેરાઇ હતી.
આ કેસની વિગત મુજબ, તા.6 જૂન 2022ના રોજ સંતકબીર રોડ પરથી સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો થોરાળા પોલીસ મથકમાં ગુનો નાેંધાયા બાદ પોલીસે આરોપી સંજય પંજાભાઇ બારૈયા (રહે.વાકાનેરના વઘાસીયા)ની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો. બાદમાં તપાસમાં 15 વર્ષની સગીરાને આરોપીએ અનેક વખત શરીર સંબંધ બાંધ્યાનું ખુલતા પુરાવા એકત્ર કરી પોકસોની કલમનો ઉમેરો કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ અદાલતમાં કેસ શરૂ થતા પ્રોસિક્યુશન તરીકે ફરિયાદીની તેમજ ભોગબનનાર સગીરાની જુબાની લેવામાં આવી હતી અને તેઅોએ બનાવની હકીકત સંપૂર્ણ સમર્થન કરતા જુબાની આપી હતી તેમજ તબીબની અને તપાસનીશ અધિકારીની જુબાની લેવામાં આવી હતી, લેખિત દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા અને સરકારી વકીલે દલીલો કરી હતી જેમાં ભોગ બનનાર સગીરાને લલચાવી ફોસલાવી લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેના પુરાવાથી સાબિત કરી હતી જેમાં જજ સુથારએ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.