રાજકોટના પ્રભારી અને રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. જેમણે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિતના સાથે સમીક્ષા બેઠક કરી હતી. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે. જેમાં મગના ભાવમાં રૂ.803 નો વધારો થયો છે. આ વર્ષે રાજ્યમાં 104 ટકા વરસાદ થાય તેવી આગાહી છે. આ દરમિયાન TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓના ભ્રષ્ટાચાર બાબતે કહ્યું કે, ભ્રષ્ટાચાર ઓછો થાય એવી વડાપ્રધાનની નેમ છે તો અધિકારીઓની પદાધિકારીઓને સજા થશે કે કેમ? તે બાબતે તેમણે વેઇટ એન્ડ વોચ એવો જવાબ આપ્યો.
રાજ્યનાં કેબિનેટ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને આર્થિક નુકશાન ન જાય તેનું ખાસ ઘ્યાન રાખે છે. દેશમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવ સરકારે જાહેર કરી દીધા છે. હવે સરકાર ખરીદી માટેની વ્યવસ્થા કરશે. ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચવા દેતી નથી.