અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાન વસ્ત્રાપુર ખાતે આવેલી આઇટીસી નર્મદા હોટલ ખાતે પરત ફર્યો હતો. જે બાદ સવારે શાહરૂખ ખાનની તબિયત બગડતા તેને કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શાહરૂખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા કેડી હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતા તેમને ડીહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી. લગભગ બપોરના 1 વાગ્યા દરમિયાન તેને હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તે હોટલ પર પરત ફર્યો હતો.
અમદાવાદમાં કોલકાતા ટીમ સોમવારે આવી હતી. ટીમ એરપોર્ટ પરથી સીધી જ વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટલ પર પહોંચી હતી. હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે થોડીવાર બાદ શાહરૂખ ખાન પણ હોટલ પર પહોંચ્યા હતા.