રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાં દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. શહેરના કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. આ તકે યુવાનો દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે વિરોધ નોંધાયો હતો. જો કે, આ સમયે ત્યાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને 8 જેટલા યુવાનોની અટકાયત કરી હતી. જો કે, બાદમાં તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા.
રાજકોટમાં આજે સાંજે વોર્ડ નંબર 16માં કોઠારીયા રોડ ઉપર ભાજપના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું. આ તકે પુરુષોત્તમ રૂપાલા પણ ત્યાં ઉપસ્થિત રહેવાના હોવાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનના બેનર સાથે મોટી સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. નારેબાજી કરતા ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા સામેનો અમારો વિરોધ આજનો નથી. જ્યારથી રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારથી સમાજ રોષમાં છે. અમે કોઈપણ પ્રશાસન કે રાજકારણીના વિરુદ્ધમાં જતા નથી અને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ.