લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી.
ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે,મેં આજે લોકસભા માટે મારું નામાંકન ગાંધીનગર બેઠક પરથી કર્યું છે. મારા માટે ગૌરવનો વિષય છે કે જે સીટ પરથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અડવાણીજી, અટલજીએ કર્યું અને જે સીટ પર સ્વયં નરેન્દ્ર મોદી મતદાતા છે એ સીટ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને ભાજપે આપ્યો છે. હું આ જ સીટ પરથી 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ રહ્યો છું. અહીંથી બહુ નાના બુથના કાર્યકર્તાથી સંસદ સુધી પહોંચ્યો છું. આ વિસ્તારના લોકોએ મને અપાર પ્રેમ આપ્યો છે.