રાજકોટનાં સર્વેશ્વર ચોકમાં કરવામાં આવનાર વોકળા પર બોક્સ કલવર્ટનાં કામને આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું છે. મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા ન થતા હવે ચૂંટણી બાદ જુલાઈ-ઓગસ્ટમાં વર્ક ઓર્ડર અપાશે. તો અંદાજે દોઢેક વર્ષ કામ ચાલે તેવી શક્યતા છે. જેને લઈને વધુ બે વર્ષ સુધી આ ચોકને લાગુ શિવમ કોમ્પલેક્ષ ખાતેની દુકાનો-ઓફિસો બંધ રાખવાની ફરજ પડી છે. હાલ દુકાનધારકોએ પોતાના વેપાર-ધંધા અન્ય સ્થળે ખસેડી લીધા હોવાના બેનર લગાવી દીધા છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં સપ્ટેમ્બર માસમાં વોકળા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા મનપાએ સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ બિલ્ડીંગને પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત સીલ કરી હયાત વોકળાના સ્થાને નવું બોક્સ કલવર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. તેવી જ રીતે શિવમ બિલ્ડીંગમાં પણ સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા માટે રિપેરીંગનું કામ બિલ્ડર એસો. દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જોકે હાલ બોક્સ કલવર્ટની ટેન્ડર પ્રક્રિયા આચારસંહિતાના કારણે સ્થગિત થઈ છે.