આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે રૂપાલાને આપી ક્લીનચિટ

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 3 મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન આપ્યું એ વીડિયો અધૂરો હતો. બીજો મુદ્દો એ હતો કે વાલ્મીકિ સમાજનો ભજન કાર્યક્રમ હતો. કોઈ જ રાજકીય સભા ન હતી. જ્યારે ત્રીજો મુદ્દો એ હતો કે પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં અંગે નિવેદન આપ્યું હતું, પરંતુ તેમનો ધર્મ અને જ્ઞાતિ અલગ અલગ હોય છે એમાં રૂપાલાનો આશય ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાનો નહોતો, જેથી લોકસભા ચૂંટણીની આચારસંહિતા ભંગ થાય એવું સ્પષ્ટ થતું નથી. આ રીતે રૂપાલાને ક્લીનચિટ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રૂપાલાએ શું નિવેદન કર્યું હતું?
પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન પર નજર કરીએ તો વાલ્મીકિ સમાજના એક જાહેર કાર્યક્રમમાં 23 માર્ચના રોજ કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું. મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા, અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. જોકે રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

ગઈકાલે રિપોર્ટ કલેક્ટરને સોંપાયો હતો
બાદમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો. બાદમાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી, પરંતુ એ બાદ પણ હજુ વિરોધ યથાવત્ છે, જેથી આ બાબતની તપાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાંત અધિકારી નિશા ચૌધરીને સોંપવામાં આવી હતી. એ અંગેનો રિપોર્ટ પણ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *