રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પડવલા ગામે સામાન્ય એવી મજાક-મસ્તી બાબતે યુવાને પોતાના જ કૌટુંબિક કાકાને છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ આધેડને હોસ્પિટલ ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ પોલીસે ગણતરીની કલાકમાં હત્યારા આરોપી ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પડવલા ગામે રહેતા ખેડૂત મુસાભાઈ કારાભાઈ નોયડાએ ભાયાવદર પોલીસમાં પોતાના જ કૌટુંબિક ભત્રીજા સોહીલ અયુબભાઈ નોયડા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પાંચ ભાઈઓ છે જેમાં 35 વર્ષીય અમાન કારાભાઈ નોયડા અપરિણીત હતો અને તે તેના અન્ય ભાઈ ફિરોઝ સાથે રહેતો હતો. ગત રવિવારે સાંજે 7 વાગ્યા આસપાસ ગામના રસ્તે આવેલા પાણીના પરબ પાસે પરિવારના સભ્યો બેઠા હતા જ્યાં પરબની પાછળની બાજુએ અદ્રેમાન અને તેનો ભત્રીજો સોહીલ બેઠા હતા.
આધેડનું સારવાર દરમિયાન મોત 7.30 વાગ્યે અદ્રેમાન અચાનક લોહીલુહાણ હાલતમાં દોડીને આવ્યો હતો અને જણાવ્યું હતું કે સોહિલે તેને કોઈ ધારદાર હથિયાર મારી દીધું છે. છાતીમાંથી લોહી નીકળતું હતું અને તે થોડી જ વારમાં બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો દરમિયાન આરોપી સોહીલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત અદ્રેમાનને પરિવારજનો દ્વારા તાત્કાલિક ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તપાસીને અદ્રેમાનને મૃત જાહેર કર્યો હતો.