દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આ જ કારણે બાળકો અને બીમારને દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે સ્વાસ્થ્યપ્રદ અને શક્તિ દેનારું આ દૂધ ખરેખર આરોગ્યપ્રદ છે કે પછી ભેળસેળને કારણે હાની પહોંચાડનારું છે તેનું હવે કોઇ નક્કી રહ્યું નથી કારણ કે, રાજકોટમાં દૂધ અને દૂધની બનાવટમાં ભેળસેળ કરવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. અવારનવાર સેમ્પલ ફેલ થયાની વિગતો બહાર આવે છે તેમાં એક સાથે ચાર નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયાનું મનપાએ જણાવ્યું છે.
ફૂડ શાખાએ જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસેથી જૈનમ એપાર્ટમેન્ટમાં આવેલી સંજય ખોડિયાર ડેરીમાંથી દૂધનો નમૂનો લીધો હતો જેમાં વેજિટેબલ ફેટની હાજરી મળી છે એટલે કે ફેટ વધારવા માટે પામ કે પછી અન્ય સસ્તા તેલની ભેળસેળ કરાઈ છે. રૈયાધાર ઓમકારેશ્વર મંદિર પાસે સન સિટી હેવન વિંગ 101માં શુદ્ધ ઘી તરીકે વેચાતા ઘીના નમૂના લીધા હતા. આ સેમ્પલ તો એક બે નહિ પણ અલગ-અલગ પાંચ તબક્કામાં ફેલ થયું છે. વેજિટેબલ ફેટની હાજરી ઉપરાંત આયોડિન વેલ્યૂ, સેપોનિફિકેશન વેલ્યૂ, બી.આર. રીડિંગ અને રીચ્ડ વેલ્યૂના પેરામીટરમાં પણ ફેઈલ થયું છે. ફૂડ શાખાના જણાવ્યા અનુસાર આ ફ્લેટમાં ઘરઘરાઉ ઘી વેચાતું હતું તેના સેમ્પલ લેવાયા હતા.