રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે (16 સપ્ટેમ્બર) સવારે 7:55 કલાકે લેન્ડ થયેલી ઈન્ડિગોની દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં 140 મુસાફરોને બેસાડ્યા બાદ પાયલોટને ટેકનિકલ ખામી ધ્યાને આવતા તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દેવાયા હતા. આ અચાનક નિર્ણયથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને કનેક્ટિંગ ફ્લાઈટ વાળા પ્રવાસીઓએ હોબાળો મચાવતા તેમને મુંબઈ થઈ દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે કેટલાક મુસાફરો ટેક્સી કરીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા.
ટેકનિકલ ટીમે આશરે એકાદ કલાકમાં રિપેરિંગ કામ પૂર્ણ કરી ઓકે રિપોર્ટ આપતા મુસાફરોને ફરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા અને ફ્લાઈટ સવારે 11:30 કલાકે રવાના થઈ હતી, જેના કારણે દિલ્હી જનારા મુસાફરો નિર્ધારિત સમય કરતા 3:30 કલાક મોડા પહોંચ્યા હતા.
ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નિર્ધારિત સમયે રાજકોટ લેન્ડ થયેલી ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટમાં તમામ પ્રવાસીઓને બેસાડી દીધા બાદ યાંત્રિક ગડબડ સામે આવી હતી. પાયલોટના ધ્યાને આ ખામી આવતા જ સુરક્ષાના કારણોસર મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે એરપોર્ટ પર પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.