રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો અને વૃક્ષો માટે રામકથા યોજાયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ પર તેની સકારાત્મક અસર થઈ છે અને તેના ભાગરૂપે બે વિદ્યાર્થીએ વૃદ્ધાશ્રમના 36 વડીલને દત્તક લીધા છે અને આજીવન તેના નિભાવની જવાબદારી લીધી છે.
અભિષેક અઢિયા અને હિરેન પૂજારા કે જે રાજકોટમાં ઉદ્યોગ ધરાવે છે અને તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમને સદ્ભાવના વૃદ્ધાશ્રમના 36 વડીલને દત્તક લીધા છે. આ નિર્ણય અંગે અભિષેક અઢિયા જણાવે છે કે, નિ:સંતાન વડીલોની લાગણી અને તેની ઈચ્છાને પૂરી કરી શકાય તે માટે વૃદ્ધાશ્રમના વડીલોને દત્તક લેવા માટે નિર્ણય કર્યો હતો. આ અંગે જ્યારે તેના પરિવારમાં વિચાર જણાવ્યો ત્યારે તેના માતા-પિતાએ પણ ખુશીથી વધાવ્યો હતો. અભિષેકના પિતા હસમુખ અઢિયા કે જેની ઉંમર 70 વર્ષ છે અને તેના માતા નિમાબેન તેની ઉંમર 65 વર્ષ છે જ્યારે હિરેનના પિતા દિલીપભાઈની ઉંમર 73 અને માતા ગીતાબેનની ઉંમર 68 વર્ષ છે. આ બન્ને યુવાન પોતાનો સમય માતા-પિતા અને પરિવાર અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ગાળે છે તેમજ દરેક તહેવાર અને પ્રસંગની ઉજવણી પણ વૃદ્ધાશ્રમના વડીલો સાથે કરવા માટેનો સંકલ્પ લીધો છે.