રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2થી 6 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે, ત્યારે તેમાં રાઈડસ માટેના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે ફોર્મ વિતરણ આજે 20 જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે. આજે પ્રથમ દિવસે 86 ફોર્મ ઉપડયા હતા. ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં પરત આપવાના રહેશે. આ વખતે મેળામાં રમકડાના 100 તો ખાણીપીણીના 48 સ્ટોલ રહેશે.
રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાનારા જન્માષ્ટમીના 5 દિવસીય ભાતીગળ લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મેળાના 228 સ્ટોલ અને પ્લોટ માટે સોમવારથી તોરલ બિલ્ડીંગ, ઇન્ડિયન બેંક (કોર્ટ રોડ) ખાતેથી ફોર્મ વિતરણ થઈ રહ્યા છે. જે ફોર્મ ભરીને 28 જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંકમાં જ સબમિટ કરવાના રહેશે.
ફોર્મ વિતરણ માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવનાર છે. આજે પ્રથમ દિવસે કેટેગરી E,FG અને H એટલે કે યાંત્રિક રાઈડ રાખવા માટે 31 ફોર્મ ઉપડયા છે તો અન્ય કેટેગરી માટે 55 ફોર્મ ઉપડયા છે.