આગામી બકરી ઈદ (ઈદ-ઉલ-અઝ્હા) નિમિત્તે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અન્ય ધર્મ કે સમાજના લોકોની લાગણી ન દુભાઈ અથવા કોઈ વાતાવરણ તંગ ન બને તે માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી પશુઓની જાહેરમાં કતલ કરવા અને કુરબાની આપેલા જાનવરોના માંસ, હાડકા કે અન્ય અવશેષો જાહેર જગ્યાઓ પર ન ફેંકવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
પોલીસના જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, તહેવારની ઉજવણી દરમિયાન અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. તેના કારણે અન્ય ધર્મ કે સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે નીચે મુજબના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
જેમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અથવા સરઘસ આકારે જાહેર માર્ગો પર લઈ જવા કે ફેરવવા નહીં. ’બકરી ઈદ’ તહેવાર નિમિત્તે કુરબાની આપેલા જાનવરોના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેર જગ્યાઓ પર ફેંકવા નહીં.