દિવાળીના તહેવારો આડે હવે માત્ર 10 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પોલીસ તંત્રએ સદર બજારના 30થી વધુ વેપારીઓને લાયસન્સ રદ કરવા નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ એવી હકીકત પ્રકાશમાં આવી છે કે, સદર બજારના ફટાકડાના વેપારીઓના લાયસન્સની મુદત માર્ચ માસમાં જ પુરી થઈ જાય છે ત્યારે તેઓ છેલ્લા સાત માસથી લાયસન્સ વગર જ કરોડો રૂપિયાનો કારોબાર ચલાવી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ પોલીસે લાયસન્સના નિયમો આકરા કરતા કોકડું ગુંચવાયાની હકીકત પ્રકાશમાં આવી છે.
સદર બજારમાં દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લાયસન્સ ઈસ્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. પરંતુ આ વર્ષે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત અંગેની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક નિયમોનું પાલન કરવા તેમજ કોઇ પ્રકારની બાંધછોડ કરવા માગતા ન હોય વેપારીઓને લાઇસન્સ રિન્યુ કરવાનું કોકડું ગુંચવાયું છે.
સદર બજારના 30થી વધુ વેપારીઓને ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા માટે પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જે અંગે ડીસીપી જગદીશ બગરવાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સદર બજારના વેપારીઓએ કાયમી ફટાકડાના લાઇસન્સ અંગે ડોક્યુમેન્ટ સાત દિવસમાં રજૂ કરવા માટે મુદત આપી હતી. જો પૂરતા ડોકયુમેન્ટ જે વેપારીઓ નહીં આપે તેના લાઇસન્સ રદ કરવામાં આવશે.