નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરમાં તણાઈ ગયેલા લોકોના 17 મૃતદેહ ઉત્તર પ્રદેશમાં ગંડક નદીમાંથી મળ્યા છે. તેમાંથી 13 મૃતદેહ કુશીનગરના ખડ્ડા અને તમકુહી રાજ તાલુકામાંથી મળ્યા.
જ્યારે, મહારાજગંજમાંથી મળેલા 4 મૃતદેહ સોમવારે નેપાળ પ્રશાસનને સોંપવામાં આવ્યા હતા, જેમાં 3 મહિલાઓ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓળખ ન થવા પર પોસ્ટમોર્ટમ દરમિયાન DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
બીજી તરફ, પૂર પહેલાં જરૂરી ડેટા શેર ન કરવાના આરોપો પર ચીને કહ્યું કે તેના વર્લ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરે 12 દિવસ પહેલાં જ નેપાળને ઈમેલ મોકલીને ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપી હતી.
નેપાળ-તિબેટમાં અત્યાર સુધીમાં 955 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 939 અને તિબેટમાં 16 મોત થયા છે, જ્યારે 3900થી વધુ લોકો હજુ પણ ગુમ છે.
નેપાળ પૂર પછી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા તમિલનાડુના 29 ટૂરિસ્ટ સોમવારે દિલ્હીના તમિલનાડુ હાઉસ પહોંચ્યા. અહીં તમિલનાડુ સરકારના મંત્રી કે. થન્નારસુ અને વિશેષ પ્રતિનિધિ કે. વેંકટ નારાયણે તેમનું સ્વાગત કર્યું.