કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આવતીકાલે ગુરુવારે રાજીનામું આપી શકે છે. પાર્ટી તેમની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સીએમ બનાવી શકે છે. બંને નેતાઓની મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી સાથે 6 કલાક સુધી બેઠક થઈ હતી.
દૈનિક ભાસ્કરના સૂત્રો અનુસાર, બેઠકમાં રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને સીએમ પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું અને તેમને રાજ્યસભામાં મોકલવાની ઓફર આપી. સાથે જ તેમને દિલ્હીમાં મોટી રાષ્ટ્રીય ભૂમિકા ભજવવા જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક સમર્થકો સાથે ચર્ચા કર્યા પછી સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ હાઈકમાન્ડનો નિર્ણય માનશે. તેમણે ગુરુવારે સવારે મંત્રીઓને બ્રેકફાસ્ટ મીટિંગ માટે બોલાવ્યા છે. આ જ દિવસે સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે.
જોકે, આ પહેલા બેઠકમાં હાજર રહેલા પાર્ટીના સંગઠન મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે – જે અટકળો લગાવવામાં આવી રહી છે, તે માત્ર અટકળો છે. તેમાં કોઈ સત્ય નથી. બેઠકમાં રાજ્યસભા અને વિધાન પરિષદ (MLC) ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી.
ખરેખર, કર્ણાટક કોંગ્રેસમાં એક વર્ષથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ડીકે સમર્થકોનો દાવો છે કે 2023માં કેન્દ્રીય નેતૃત્વએ અઢી-અઢી વર્ષની સત્તાનું ફોર્મ્યુલા આપ્યું હતું.