વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો આજથી શરૂ થઇ રહ્યો છે, જે માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા 120 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. રાજકોટ ડેપો ઉપરાંત સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા, હળવદ સહિતના તમામ 7 ડેપોમાંથી બસ મુકાશે. રાજકોટથી યાત્રિકોને તરણેતરના મેળામાં જવા રાઉન્ડ ધી કલોક બસની સુવિધા મળશે. રાજકોટથી તરણેતરના મેળામાં જવાનું એસટીનું ભાડું રૂ.140 રખાયું છે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના નિયામક જે.બી કરોતરાએ જણાવ્યું હતું કે, તરણેતરના મેળાને ધ્યાનમાં રાખી રાજકોટ એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા તમામ ડેપોમાંથી કુલ 120 એસ.ટી. બસ મુકાઇ છે. રાજકોટથી તરણેતર જવાનું ભાડું રૂ.140 રખાયું છે જ્યારે ચોટીલાથી રૂ. 75, થાનથી રૂ.30, સુરેન્દ્રનગરથી રૂ.135, ધ્રાંગધ્રાથી રૂ.110, હળવદથી રૂ.85 અને મોરબીથી રૂ.125 રાખવામાં આવ્યું છે.
પશુ પ્રદર્શન હરીફાઈમાં રાજકોટના પશુપાલકો ભાગ લઇ શકશે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે આયોજિત મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ 26થી 28 ઓગસ્ટ સુધી યોજાશે. આ હરીફાઈમાં રાજકોટ જિલ્લાના પશુપાલકો પણ ભાગ લઈ શકશે. ગીર અને કાંકરેજ ગાય વર્ગ, જાફરાબાદી અને બન્ની ભેંસ વર્ગના શુદ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓ સાથે મેળામાં ભાગ લેવા પશુપાલકોને જણાવાયું છે. સ્પર્ધામાં વિજેતાને પ્રથમ, દ્વિતીય અને આશ્વાસન ઈનામ અપાશે.