કાલાવડ રોડ પર જડુસ હોટલ નજીક આવેલા આંબેડકરનગરમાં રહેતા 28 વર્ષીય રાહુલભાઈ પરમાર નામના યુવાને પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે પરિવારજનો બહાર હતા અને મોટી બહેન ઘરે આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી યુવકને તાત્કાલિક નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારના નાના પુત્રએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે રાજકોટ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એમ.જે. ધાંધલ અને તેમની ટીમ દ્વારા સઘન ટેકનિકલ તપાસ હાથ ધરીને સાયબર ફ્રોડનો ભોગ બનેલા 28 નાગરિકોને રૂ. 5,06,996 ની રોકડ રકમ પરત અપાવવામાં આવી હતી. આ ઉપરાંત 23 અરજદારોને તેમના ગુમ થયેલા રૂ. 3.35 લાખની કિંમતના સ્માર્ટફોન અને એક વાહનચોરીના ભોગ બનનારને રૂ. 75 હજારનું વાહન સોંપવામાં આવ્યું હતું. આમ, કુલ રૂ. 9,17,996 નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત મળતાં શહેરીજનોએ પોલીસ તંત્રની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો