રાજકોટના ત્રંબા ગામ ખાતે સનાતન ધર્મ બચાવવા માટે સંતો મેદાને પડ્યા છે. સનાતન ધર્મની રક્ષા માટે સંત સગોષ્ઠી સંમેલન યોજવામાં આવ્યું છે. લીંબડી, જૂનાગઢ બાદ ત્રંબા ખાતે ત્રીજી સભા મળી છે. સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયેલા આ સંત સંમેલનમાં દેશભરના સાધુ-સંતો ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય, મોરારિબાપુ, કચ્છથી કૈલાશગિરિ મહરાજ, કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કનીરામ બાપુ, દિલીપદાસજી મહારાજ, નિર્મળાબા પાળીયાદ, કરસનદાસ બાપુ, લલિત કિશોર બાપુ (લીંબડી) સહિતના સાધુ સંતો ઉપસ્થિત છે. આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિશે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.
ગઢડાના એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતે રાજાઓ સાથે વિમર્શ થતાં. જો કે, લોકશાહી આવ્યા પછી સાધુ સંતોની વાત સાંભળવા કોઈપણ રાજકીય પક્ષ તૈયાર નથી. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવી-દેવતાઓનું અપમાનનું લખાયેલું નથી.
ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, અમે પણ સનાતનનો ભાગ છીએ. સનાતનને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને આદેશ કર્યો છે કે, કોઇ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. દેવી દેવતાઓ વિશે લખવામાં આવ્યુ હોય તે વાંચવું જોઇએ નહીં. અમે આ આચાર્ય પરંપરામાંથી આવીએ છીએ. શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથી. અમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની સાથે છે.