રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલની આસપાસ આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આજે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરની પ્રખ્યાત ગીરીરાજ હોસ્પિટલની કેન્ટીનમાંથી ચણાદાળમાંથી જીવાત અને ધનેડા નીકળતા 30 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો તો જૂના માર્કેટિંગ યાર્ડમાં માધવ ટ્રેડિંગમાંથી તુલસી ધાણાજીરું પાવડરનો નમૂનો ફેલ જાહેર થયો છે. ઉપરાંત સત્યસાંઈ મેઇન રોડ તથા યુનિવર્સિટી રોડ કેન્સર હોસ્પિટલ બાજુના વિસ્તારમાં 22 ધંધાર્થી ફૂડ લાઇસન્સ વિના વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કુવાડવા રોડ પર ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાથી ચેવડાના 2 તો અન્ય જગ્યાએથી કેશર પેંડા અને રાજગરાના ચેવડાનો નમૂનો લેવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ તુલસી બ્રાન્ડ ધાણાજીરું પાઉડરનો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં અનસેફ (ફેલ) જાહેર થયેલ છે. ફૂડ વિભાગ દ્વારા આરટીઓની બાજુમાં જૂના માર્કેટિંગ યાર્ડ ડી-28માં માધવ ટ્રેડિંગમાંથી લેવામાં આવેલ ખાદ્યચીજ તુલસી ધાણાજીરૂ પાઉડર (200 ગ્રામ પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં હાજર પેસ્ટીસાઈડ (chlorpyrifos)ની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો અનસેફ (ફેલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુકશન કાર્યવાહી કરવામાં આવશે.