એઇમ્સ જતા દર્દીઓનો ખંઢેરી પાસેના રેલવે ફાટકે સમય ન બગડે તે માટે ઓવરબ્રિજ બનશે

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રને આરોગ્યક્ષેત્રે સારામાં સારી સુવિધા મળી રહે તે માટે 10 જિલ્લાઓ વચ્ચે રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે અને હવે એઇમ્સમાં ઓપીડી-આઇપીડી સહિતની સેવાઓ ધમધમતી થઇ ગઇ છે ત્યારે એઇમ્સમાં સારવાર માટે બહારગામથી અને રાજકોટથી જતા દર્દીઓ ખંઢેરી-પરાપીપળિયા વચ્ચેના રેલવે ફાટક પાસે ન ફસાય તે માટે રાજ્ય સરકાર અને રેલવે તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓવરબ્રિજ બનાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે અને આ પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડ મંજૂર કરાયા છે.

રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ખાતે એઇમ્સ હવે ધમધમતી થઇ જતા દરરોજ રાજકોટ અને અન્ય જિલ્લામાંથી એવરેજ 1000થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે અને હવે એઇમ્સમાં દર્દીઓને દાખલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે બહારગામથી ગંભીર અને હઠીલા રોગોની સારવાર માટે આવતા અથવા તો અકસ્માતના કિસ્સામાં ઇજા સાથે એઇમ્સમાં ખસેડાતાં દર્દીઓને ખંઢેરી-પરાપીપળિયા પાસેના રેલવે ફાટક એલ.પી.-130 પાસે ફસાવું ન પડે તે માટે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે.

માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર અને રેલવે તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ માટે ખર્ચ કરાશે અને તેના માટે હાલના તબક્કે રૂ.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટને તાંત્રિક મંજૂરી મળી ગઇ છે અને હાલમાં ટેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર તૈયાર થઇ ગયા બાદ ઓવરબ્રિજના અંદાજિત ખર્ચ સાથેની ડિઝાઇન મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળી ગયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. આ ઓવરબ્રિજ કેટલા સમયમાં તૈયાર કરાશે તેની સમય મર્યાદા ટૂંક સમયમાં નક્કી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *