ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોના પરિજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાયેલું છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેએ આ ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. આ ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, લાંબા સમય સુધી સહયોગ કરવામાં આવશે. આ સાથે, અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ(અતુલ્યમ)નું સમારકામ અને રિનોવેશન કરવામાં પણ મદદ કરશે.
આરોગ્યકર્મીઓને ટ્રોમામાંથી બહાર લાવવામાં મદદ કરશે ટાટા સન્સે જણાવ્યું કે, ટ્રસ્ટનો હેતુ મૃતકોના આશ્રિતો, ઘાયલો તેમજ અન્ય પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષરૂપથી પ્રભાવિત વ્યક્તિઓને મદદ કરવાનો છે. દુર્ઘટના બાદ મેડિકલ ઇમર્જન્સી સમયે કામ કરનારા આરોગ્યકર્મીઓ તથા રાહતકાર્યમાં લાગેલા લોકોને ટ્રોમામાંથી બહાર લાવવામાં પણ મદદ કરશે.
પ્લેન ક્રેશ પછી તુરંત જ, ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારોને વળતર તરીકે એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, એર ઇન્ડિયાએ દરેકને 25 લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું હતું.