ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 33મો દિવસ છે. આ દરમિયાન ઇઝરાયલ પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કર્મચારીઓની નિમણૂક કરવા જઈ રહ્યું છે. વોઈસ ઓફ અમેરિકાના અહેવાલ મુજબ ઇઝરાયલમાં કામ કરતા પેલેસ્ટાઈનીઓને હમાસના હુમલા બાદ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તેના બદલે ઇઝરાયલ અને ભારત સરકાર વચ્ચે ભારતીયોને નોકરી આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.
મંગળવારે ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલન્ટે કહ્યું કે ગાઝા પટ્ટી માનવીઓ દ્વારા બનાવવામાં આવેલ આતંકનો સૌથી મોટો અડ્ડો છે. બંધકોને પરત લાવવા માટે અમે દરેક સૈન્ય અને રાજકીય કાર્યવાહી કરીશું.
બીજી તરફ ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તે ગાઝા શહેરની મધ્યમાં પહોંચી ગઈ છે. પીએમ નેતન્યાહુએ કહ્યું- અમે ગાઝા શહેરમાં પ્રવેશી રહ્યા છીએ. અમે હમાસના એવા ટાર્ગેટ પર પણ પહોંચી ગયા છીએ જ્યાં તેમને અપેક્ષા પણ નહોતી. હજારો હમાસ આતંકીઓ માર્યા ગયા છે. જો હિઝબુલ્લાહ આ યુદ્ધમાં પ્રવેશ કરશે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે.