ભારતીય મહિલા ટીમે એશિયા કપ ખિતાબ જીત્યા બાદ મોહસિન નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલા પુરુષ એશિયા કપમાં પણ ભારતે નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો.
રવિવારે ભારતે દુબઇમાં યોજાયેલા ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાને 72 રનથી હરાવીને 8મી વાર એશિયા કપ જીત્યો. ત્યારબાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં શ્રીલંકન ટીમની કેપ્ટને નકવી પાસેથી ઉપવિજેતા ટ્રોફી અને ચેક લીધો. પરંતુ, ભારતીય ટીમ સ્ટેજ પર ન આવી. અહીં જ પ્રેઝન્ટેશન સેરેમની પૂરી કરી દેવામાં આવી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રી પણ છે. તેમણે ઓપરેશન સિંદૂર સમયે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ કારણથી 2025માં ભારતીય પુરુષ ટીમે તેમના હાથથી ટ્રોફી લીધી ન હતી. ભારતીય મહિલા ટીમે પણ તે જ સ્ટેન્ડ પર કાયમ રહેતા નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો.
મેચ પૂરો થતાં જ ટ્રોફીને લઈને સસ્પેન્સ બનવા લાગ્યું હતું. પ્રેઝન્ટેશન સેરેમની પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયા અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ભારતીય ખેલાડીઓ સાથે વાત કરતા નજરે પડ્યા. માનવામાં આવી રહ્યું છે કે આ બંનેએ ખેલાડીઓને બોર્ડનું સ્ટેન્ડ બતાવ્યું કે જો નકવી ટ્રોફી આપવા આવે છે તો ભારતીય ટીમ સ્ટેજ પર નહીં જાય.