ફ્રાન્સની રાજધાની પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે કર્મચારીઓની હડતાળને કારણે બંધ રહ્યો. આ મામલો શનિવારે હિંદુ સંગઠન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના લગભગ 100 સભ્યોની મુલાકાત સાથે સંબંધિત છે.
આરોપ છે કે BAPS પ્રતિનિધિમંડળના આગમન પહેલાં કેટલીક મહિલા કર્મચારીઓને તેમની જગ્યા પરથી હટવા માટે કહેવામાં આવ્યું, જેથી ત્યાં પુરુષ કર્મચારીઓને તૈનાત કરી શકાય.
આ ઘટનાથી મહિલા કર્મચારીઓ દુઃખી થઈ. તેમને આ અપમાનજનક લાગ્યું. મામલો વધ્યા પછી સોમવારે કર્મચારીઓએ બેઠક કરી અને મેનેજમેન્ટ સાથે વાતચીત કરી.
વાત ન બનતા કર્મચારીઓએ હડતાળ કરી દીધી. આના કારણે એફિલ ટાવરને બંધ રાખવો પડ્યો. બાદમાં એફિલ ટાવરના મેનેજમેન્ટે પણ સ્વીકાર્યું કે તેને આવી વિનંતી માનવી જ ન જોઈતી હતી.
BAPSએ જણાવ્યું કે લગભગ 100 લોકોના એફિલ ટાવરની મુલાકાતની યોજના સંસ્થા અને ટાવરના મેનેજમેન્ટે સાથે મળીને બનાવી હતી. મુલાકાતનો સમય પણ એવી રીતે નક્કી કરવામાં આવ્યો હતો, જેથી અન્ય પ્રવાસીઓને ઓછીમાં ઓછી અગવડ પડે.
સંસ્થા અનુસાર, તેની જાણકારીમાં કોઈને પણ એફિલ ટાવરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા ન હતા. જોકે, જો આ ઘટનાથી કોઈને દુઃખ કે અગવડ પડી હોય તો BAPS તેના માટે માફી માગે છે.
BAPS પોતાને હિંદુ આધ્યાત્મિક અને સ્વયંસેવી સંસ્થા ગણાવે છે. તેના લંડન, લોસ એન્જલસ અને સિડની સહિત ઘણા શહેરોમાં મંદિરો છે. રવિવારે પેરિસમાં BAPS ના ફ્રાન્સના પ્રથમ મોટા મંદિરનું ઉદ્ઘાટન પણ થયું હતું.