મહેસાણાના વિજાપુરના રામ મંદિર પાસે મેડીકલ સ્ટોર ચલાવતા આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) એક્ટિવા (GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે આવતી બ્રેઝાના કારચાલકે ટક્કર મારી. રોડ પર પટકાવાને કારણે વિનોદકુમાર પટેલને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
જો કે આ કોઈ સામાન્ય અકસ્માત નહીં પણ ઘરમાં જ આકાર લઈ રહેલા એક ષડ્યંત્રનો ભાગ હતો. મહિના પહેલાં આ કાવતરું ઘડાઈ ચૂક્યું હતું અને તેને અંજામ સુધી પહોંચાડવાનું બાકી હતું. વિનોદભાઈના મોતને કારણે ઘરમાં માતમ છવાયું હતું. પત્ની અને દીકરી મોકાણે આવનારની વચ્ચે બેસીને રડી રહી હતી. હકીકતમાં તો અંદરથી ખુશ હતી કારણ કે પતિ અને પિતાને મોતને ઘાટ ઉતારવા માટે બન્નેએ સાથે મળીને એક ખૌફનાક ખેલ ખેલ્યો હતો. આ સમયે તો કોઈને પણ ખબર નહોતી કે વિનોદભાઈની હત્યા કરનારી તેના ઘરની બે મહિલા સૌની વચ્ચે મગરના આંસુઓ સારી રહી છે.
આ ઘટનાથી ભલભલાને પિતા-પુત્રીના લાગણી ભર્યા સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે એ વાત ચોક્કસ છે. જો કે પતિ-પત્નીના સંબંધો પરથી તો સોનમ રઘુવંશી કેસ સામે આવ્યો ત્યારથી જ ઉઠી ગયો છે. આ મર્ડર પ્લાન કરવામાં પત્ની રીટા પટેલ, પુત્રી શ્રદ્ધા પટેલની સાથે રીટા પટેલની બહેનનો દીકરો વિમલ પટેલ પણ સામેલ હતો.