ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં સોમવારે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો અને એમપીના વતની તેમજ ત્રણ દિવસ પહેલાં જ કામે રહેલા શ્રમિક દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. સવારે વાડી માલિક જુનાગઢથી આવ્યા ત્યારે આખી ઘટનાની જાણ થઇ અને પોલીસ દોડતી થઇ હતી.
મૃતકના પિતાએ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે તીક્ષ્ણ હથિયારના ઘા મારી પુત્ર અને પુત્રવધૂનું ખૂન કરાયું છે જ્યારે પોલીસ બોથડ પદાર્થના મારથી હત્યા થયાની થિયરી પર ચાલી રહી છે. જો કે ઘટનાના આટલા દિવસ પછી પણ પોલીસને કોઇ જ સુરાગ મળ્યો નથી કે હત્યા કોણે કરી અને શા માટે કરી.
મોટી મારડ ગામે રમેશભાઇ ભુતની વાડીમાં ત્રણ દિવસ પહેલાં જ કામે રહેલા અને એમપી ના વતની શ્રમિક દંપતી દુર્ગા ચૌહાણ અને રોહિત ચૌહાણની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. કામે રહ્યાને 72 કલાક પણ માંડ વીત્યા ત્યારે કોણે આ બન્નેની હત્યા કરી અને શા માટે કરી એ સહિતના સવાલો હજુ પણ અનુત્તર જ રહ્યા છે.
પોલીસ લાશની સ્થિતિ જોતાં બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઇ હોવાના નિર્દેશ પર પહોંચી છે જ્યારે ફરિયાદી મથુર ચૌહાણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થયાની ફરિયાદ નોંધાવી છે.