કેન્દ્ર સરકારે ફરી એકવાર કહ્યું છે કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે જણાવ્યું હતું કે પાસપોર્ટ અધિનિયમ, 1967 મુજબ ભારત સરકાર દેશની બહાર મુસાફરી માટે ભારતીય નાગરિકોને પાસપોર્ટ જારી કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ એક દસ્તાવેજ છે જે સંપૂર્ણ તપાસ અને ચકાસણી પછી જારી કરવામાં આવે છે. તેનું સંચાલન પાસપોર્ટ અધિનિયમ, 1967 અને પાસપોર્ટ નિયમો, 1980 હેઠળ થાય છે. જયસ્વાલે જણાવ્યું હતું કે દેશના 8% થી પણ ઓછા નાગરિકો પાસે પાસપોર્ટ છે.
24 જૂન: સરકારે પહેલીવાર કહ્યું- પાસપોર્ટ નાગરિકતાનો દસ્તાવેજ નથી
24 જૂનના રોજ પાસપોર્ટ સેવા દિવસ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાસપોર્ટ ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, નાગરિકતાનો પુરાવો નથી. આ નિવેદન ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ઉપયોગ કરવાના પ્રશ્ન પર આપવામાં આવ્યું હતું. મંત્રાલયે 2013ના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયનો પણ હવાલો આપ્યો હતો, જેમાં પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો માનવામાં આવ્યો ન હતો.
અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે પાસપોર્ટ અધિનિયમ, 1967 હેઠળ જનહિતમાં જરૂર પડ્યે કેન્દ્ર સરકાર કોઈ બિન-ભારતીય નાગરિકને પણ પાસપોર્ટ જારી કરી શકે છે. તેથી પાસપોર્ટને નાગરિકતાનો અંતિમ પુરાવો માનવામાં આવતો નથી.
કોંગ્રેસે પૂછ્યું- કયો દસ્તાવેજ નાગરિકતાનો પુરાવો
વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ વિપક્ષી કોંગ્રેસે સરકારની ટીકા કરી હતી. પાર્ટીએ સવાલ ઉઠાવ્યો કે જો પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, તો તેને કયા આધારે જારી કરવામાં આવે છે.