પર્યાવરણની જાળવણી અને ગ્રીન જસદણના સંકલ્પ સાથે જસદણના ગોખલાણા રોડ પર આવેલા પવિત્ર રામેશ્વર મંદિર ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જસદણ નગરપાલિકા, શહેર ભાજપ સંગઠન દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા કાર્યક્રમમાં સંખ્યામાં અગ્રણીઓ અને સ્થાનિકો જોડાયા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત મંદિર પરિસરમાં જુદા જુદા પ્રકારના છોડ અને વૃક્ષો રોપીને તેના યોગ્ય ઉછેર તેમજ જતન માટેના સંકલ્પો લેવામાં આવ્યા હતા.
આ પ્રેરણાદાયી પ્રસંગે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્ર છાયાણી સહિતના નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજય રાઠોડ સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ રામેશ્વર યુવક મંડળના આગેવાન ભરત છાયાણી સહિતના સભ્યોએ હાજર રહીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.
પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનો ઉછેર કરવો એ આજના સમયની માંગ છે, જેથી જસદણને હરિયાળું બનાવવા નગરપાલિકા અને સંગઠન હંમેશા કટિબદ્ધ રહેશે તેવો સૂર આ તકે વ્યક્ત કરાયો હતો.