શહેરના એરપોર્ટ રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પતિના અન્ય સ્ત્રી સાથેના કથિત પ્રેમસંબંધો અને સસરાના અસહ્ય માનસિક-શારીરિક ત્રાસથી કંટાળીને ઊંઘની ગોળીઓ ગળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ સ્નેપચેટ પર અન્ય સ્ત્રી સાથે ગુપ્ત વાતો કરતો હતો અને લગ્નજીવનના સવા વર્ષ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ બાંધવાથી પણ દૂર રહેતો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્નના માત્ર 15 દિવસ બાદ જ ઘરકંકાસ શરૂ થયો પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, પીડિત પરિણીતા દેવિકાબેન ધવલભાઈ દાવડા (ઉ.વ. 31) ના લગ્ન સવા વર્ષ પહેલાં ધવલ રાજેન્દ્રભાઈ દાવડા સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતના માત્ર 15 દિવસ જ ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ દેવિકાબેનને જાણ થઈ હતી કે, તેનો પતિ ધવલ કોઈ અન્ય સ્ત્રી સાથે ફોનમાં સ્નેપચેટ એપ્લિકેશન મારફતે સતત સંપર્કમાં રહેતો અને વાતો કરતો હતો. આ બાબતે પત્નીએ વિરોધ કરતાં બંને વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થવા લાગ્યા હતા.
પતિ શારીરિક સંબંધ રાખતો નહોતો દેવિકાબેનએ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, અન્ય સ્ત્રી સાથેના અફેરના કારણે પતિ ધવલ તેમની સાથે ક્યારેય શારીરિક સંબંધ પણ રાખતો નહોતો અને અવારનવાર શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપતો હતો. આટલું ઓછું હોય તેમ, સસરા રાજેન્દ્ર રતનસી દાવડા પણ દેવિકાબેન સાથે ગેરવર્તન કરતા હતા અને તેમના માતા-પિતા વિશે આડું-અવળું બોલી મેણા-ટોણા મારીને ત્રાસ ગુજારતા હતા. સાસરીયાઓના આ ત્રાસથી કંટાળીને પરિણીતા છેલ્લા 6 મહિનાથી રિસામણે પોતાના પિતાના ઘરે રહેતી હતી.