આણંદપર બાધી ગામે રહેતા નંદલાલભાઈ દુર્લભજીભાઇ દેગડા (ઉં.વ.50) સાંજના સમયે પોતાના ઘરમાં કપડાને ઈસ્ત્રી કરી રહ્યા હતાં. આ દરમિયાન ઇસ્ત્રીનો ચાલુ વાયર અગમ્ય કારણોસર તેમની છાતીના ભાગે અડી ગયો હતો. વાયર અડવાની સાથે જ તેમાંથી તીવ્ર પ્રમાણમાં જોરદાર વીજ પ્રવાહ પસાર થતાં નંદલાલભાઈ કંઈ સમજે તે પહેલાં જ તેમને જોરદાર આંચકો લાગ્યો હતો અને તેઓ તત્કાલ બેભાન થઇ જમીન પર ઢળી પડ્યા હતાં.
108ના EMTએ તપાસ કરી નંદલાલભાઈને મૃત જાહેર કર્યા હતા જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત અંગે કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક નંદલાલભાઈ અપરિણીત હતા તેઓ પોતાના ઘરે જ બેઠા-બેઠા દરજી કામ તેમજ કપડાંને ઇસ્ત્રી કરવાનું કામકાજ કરીને સાદગીપૂર્વક પોતાનું ગુજરાન ચલાવતા હતા.
પુનીતનગરમાં ઉલ્ટી થયા બાદ બેભાન હાલતમાં યુવકનું મૃત્યુ રાજકોટ શહેરમાં પુનીતનગરમાં રહેતાં 38 વર્ષના યુવાનનું ઉલ્ટી થયા બાદ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 150 ફુટ રીંગ રોડ પર પુનીતનગર 8માં રહેતાં હિરેનભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.38) નામના યુવાને રાત્રે ઘરે હતાં ત્યારે એકાએક ઉલ્ટી ચાલુ થઇ જતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ મોત નિપજતા હોસ્પિટલ ચોકી દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હિરેનભાઈને હાર્ટ એટેક આવી ગયાનું સામે આવ્યું છે.
ઉછીના આપેલા રૂ.3 લાખ પરત ન આપતાં ખેડૂતે ઝેરી દવા પીધી પ્રવિણભાઈ ઉકાભાઇ મકવાણા (ઉં.વ.50) ગઈકાલે બપોરે 2 વાગ્યાં આસપાસ પોતાના ગામમાં પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પુછપરછમાં પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, પોતે ખેતી કામ કરે છે અને 4 ભાઈ 2 બહેનમાં નાના છે. ગામના જ હિતેશ રઘુભાઈ શિંગાળાને 3 લાખ ઉછીના આપ્યા હતા જે પરત માંગતા હિતેશે ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા હિતેશને જાણ કરી હતી પણ હિતેશે રૂપિયા આપ્યા ન હતા જેથી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો તેમ છતાં હિતેશ રૂપિયા ન આપતો હોવાથી આ પગલું ભર્યું હતું. હાલ આજીડેમ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.