અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે મૂળ ગોધાવીના એવા 55 વર્ષીય કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. જો કે પોલીસ તપાસમાં તેની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેઓ 25 વર્ષથી સામ્રાજ્ય ટાવરમાં કામ કરતા હતા.
સિક્યુરિટી ગાર્ડે પોલીસને નિવેદન આપ્યું હતું કે, રાતના સમયે કોઈ પણ અજાણ્યો શખ્સ સોસાયટીમાં આવ્યો નહોતો.જેથી પોલીસ દ્વારા ફ્લેટમાં રહેતા જ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાની દિશામાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સોસાયટીના G બ્લોકમાં જ રહેતા 25 વર્ષીય ઋત્વિજ જયમલાણી નામનો યુવક જ આરોપી હોવાનું ખૂલ્યું હતું.
ત્યાર બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. મૃતક અવારનવાર H બ્લોકના બાથરૂમમાં નહાતો અને બાથરૂમ કરતો હતો. જે આરોપીના ઘરેથી દેખાતું હતું.જેથી આરોપીએ અવારનવાર ઝગડો કરીને મૃતકને સમજાવ્યો હતો. જો કે આમ છતાં મૃતક હરકત બંધ કરતો નહોતો. આરોપીએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેના પિતા એજ્યુકેશન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે, અને ઋત્વિજ પણ તેની સાથે જ કામ કરે છે.