પૈસાની ખેંચતાણ અને માનસિક તણાવ ક્યારેક કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, તેનો જીવતો જાગતો પુરાવો રાજકોટના કુવાડવા રોડ પર જોવા મળ્યો છે. વર્ષોથી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા બે યુવાનો વચ્ચે ચાલતી હિસાબની તકરાર અંતે હોસ્પિટલના બિછાને પહોંચી છે. મજૂરીકામ કરતા કારીગરે ડેલા પર જઈ પોતાની જાતને આગ ચાંપી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે હોસ્પિટલ દોડી જઈ નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ કેવળ આત્મહત્યાનો પ્રયાસ છે કે ઉશ્કેરણીનું પરિણામ? તે જાણવા માટે પોલીસે ડેલાની આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે.રાજકોટમાં વેપારી મનદુઃખમાં આ રીતે સરેઆમ અગ્નિસ્નાન કરવાની ઘટનાએ વેપારી આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના? મોરબી રોડ પર આવેલી સંગીતા સોસાયટીમાં રહેતા સુનિલભાઈ પ્રવીણભાઈ કોશિયા (ઉ.30) ફર્નિચરના કામ સાથે સંકળાયેલા છે. તેઓ કુવાડવા રોડ પર ડી-માર્ટની સામે આવેલ ‘આઈમા ફર્નિચર’ નામના ડેલા પરથી માલ-સામાનની ખરીદી કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ડેલાના માલિક જયદીપભાઈ દિનેશભાઈ રાજગોર (ઉ.22) સાથે નાણાકીય હિસાબને લઈને ઘર્ષણ ચાલી રહ્યું હતું. ગઈકાલે સાંજે આ વિવાદ ઉગ્ર બન્યો હતો. સુનિલભાઈ ડેલા પર પહોંચ્યા ત્યારે બોલાચાલીએ હિંસક વળાંક લીધો અને આવેશમાં આવી સુનિલભાઈએ પોતાની પાસે રહેલું પેટ્રોલ પોતાના શરીર પર છાંટ્યું હતું.