એક્ટ્રેસ અંજલિ રાઘવની સ્ટેજ પર ભોજપુરી સિંગર-એક્ટર પવન સિંહ દ્વારા કમરને સ્પર્શ કરવા બદલ મહિલા આયોગે કડક વલણ અપનાવ્યું છે. અંજલિએ હરિયાણા મહિલા આયોગને ફરિયાદ કરીને ઈ-મેલ દ્વારા પુરાવા મોકલ્યા હતા, જે બાદ બંને પક્ષોને ફરીદાબાદ બોલાવવામાં આવ્યા છે.
મહિલા આયોગના ચેરપર્સને જણાવ્યું કે- 2 એપ્રિલે ફરીદાબાદમાં સુનાવણી રાખવામાં આવી છે. આ દરમિયાન બંને પક્ષોને ફરીદાબાદમાં હાજર રહેવા માટે બોલાવવામાં આવશે. તેણે કહ્યું કે- બંને પક્ષોને નોટિસ મોકલીને બોલાવવામાં આવશે.
રેપર સિંગર બાદશાહના કેસમાં મહિલા આયોગના કડક વલણ બાદ અંજલિએ ફરિયાદ કરવાની હિંમત એકઠી કરી. અંજલિએ કહ્યું કે તે દિવસે લખનઉમાં સ્ટેજ પર પવન સિંહે ખોટી રીતે કમરને સ્પર્શ કર્યો. આ અયોગ્ય વર્તન હતું. એટલું જ નહીં, બાદમાં બદનામ કરવા માટે યોજનાબદ્ધ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો.
અંજલિએ આયોગને વિનંતી કરી છે કે- તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ હટાવવામાં આવે. એક્ટ્રેસનું કહેવું છે કે આ જ કારણોસર તેની પાસેથી દિલ્હી રામલીલામાં સીતાનો રોલ છીનવાઈ ગયો.