રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરતા કોઠારીયા રોડ પર આવેલા વર્ષો જૂના વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સુવિધાયુક્ત હોલનું લોકાર્પણ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ છે સુવિધાઓ અને ભાડું જર્જરિત હાલતમાં રહેલા જૂના હોલના સ્થાને હવે પેસેન્જર અને માલસામાન માટેની અલગ લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, વિશાળ પાર્કિંગ અને સેન્ટ્રલી એ.સી. જેવી આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, હાઈટેક સુવિધાઓ છતાં મનપા દ્વારા આ હોલના ભાડા અને ડિપોઝિટના દર સામાન્ય જનતાને પોસાય તેવા માત્ર રૂ. 5થી 10 હજાર રાખવામાં આવ્યા છે, જ્યારે બેસણા કે ઉઠમણા જેવા માઠા પ્રસંગો માટે માત્ર રૂ. 1-2 હજાર ભાડું રાખવામાં આવ્યું છે.
નવો તૈયાર થયેલો વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ ત્રણ માળમાં વિભાજિત છે, જેમાં દરેક પ્રકારના સામાજિક અને વ્યવસાયિક પ્રસંગોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. પ્રથમ માળે નોન એ.સી. યુનિટ-1 કાર્યરત છે, જે મધ્યમવર્ગીય પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.