અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણય અને ટ્રમ્પ દ્વારા ફરીથી નવા ટેરિફની જાહેરાત પછી ભારત-યુએસ ટ્રેડ ડીલ પહેલાની જેમ જ રહેશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ભારત સાથે થનારા કરાર પર કોઈ અસર નહીં થાય. તે પહેલાની જેમ જ આગળ વધશે.
હકીકતમાં શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણયના 3 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભર પર 10% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ એક આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ 10% નો ગ્લોબલ ટેરિફ લગાવવામાં આવશે.
તેમણે કહ્યું કે આ ટેરિફ પહેલાથી લગાવવામાં આવી રહેલા બેઝલાઇન ટેરિફની ઉપર હશે. એટલે કે જે ટેરિફ અત્યારે લેવામાં આવી રહ્યો છે, તેના સિવાય આ નવો 10% વધારાનો ટેરિફ હશે. જોકે ભારત સાથેની ડીલમાં આ વધારાનો ટેરિફ શામેલ થશે, કે પછી પહેલાથી નક્કી કરાયેલા 18% માં જ એડજસ્ટ કરવામાં આવશે. આ અંગે ટ્રમ્પે કોઈ નિવેદન આપ્યું નથી.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા સાથે ‘વચગાળાનો વેપાર કરાર’ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફાઇનલ થઈ જશે. માર્ચમાં તેના પર હસ્તાક્ષર થશે, જ્યારે એપ્રિલથી આ કરાર સંપૂર્ણપણે લાગુ થઈ જશે.
આ સાથે જ ભારત આવનારા કેટલાક મહિનાઓમાં દુનિયાના મોટા દેશો સાથે વ્યાપારિક કરારો પર અંતિમ મહોર મારશે. એપ્રિલમાં બ્રિટન અને ઓમાન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શરૂ થવાની અપેક્ષા છે.