મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી CM અજિત પવારના પુત્ર જય પવારે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે VSR વેન્ચર્સના વિમાનોના ઉડ્ડયન પર રોક લગાવી દેવી જોઈએ. તેમણે મહારાષ્ટ્રના બારામતીમાં 28 જાન્યુઆરીએ થયેલા પ્લેન ક્રેશની પારદર્શક અને સંપૂર્ણ તપાસની માંગ કરી.
જય પવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યો. તેમણે લખ્યું, પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સ સરળતાથી નષ્ટ થતા નથી. મહારાષ્ટ્રના લોકોને આ હૃદયદ્રાવક દુર્ઘટનાનું સંપૂર્ણ, પારદર્શક અને કોઈ પણ શંકા વિનાનું સત્ય જાણવાનો અધિકાર છે.
પવારે આગળ લખ્યું કે VSR વેન્ચર્સના એરક્રાફ્ટના મેન્ટેનન્સમાં ગરબડની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો અને લખ્યું- મિસ યુ ડેડ.
પુણેના બારામતીમાં 28 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના પ્લેન ક્રેશમાં મોત થયા હતા. અજિતની પત્ની અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે મંગળવારે CM દેવેન્દ્ર ફડણવીસને મળીને આ મામલાની CBI તપાસની માંગ કરી હતી.