રાજકોટના માંડા ડુંગરમાં ડો.ભીમરાવનગરમાં રહેતો 13 વર્ષીય મોહિત નિલેશભાઈ બથવાર શિવરાત્રીના દિવસે સોમનાથ દર્શન કરવા ગયો હતો. સોમનાથ દર્શન કરી બધા ટ્રેનમાં બેસી જૂનાગઢ જવા નક્કી કર્યું હતું. જેથી વેરાવળ રેલવે સ્ટેશન ખાતે બધા ટ્રેનમાં બેસવાના હતા, ત્યારે અચાનક ટ્રેનમાં ચડતી વખતે દરવાજાના હેન્ડલથી મોહિતનો હાથ છૂટી ગયો અને પગ લપસી ગયો ત્યાં જ ધીમી ધીમી ટ્રેન ચાલુ થઈ જેથી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મોહિત પડી ગયો હતો જેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. તેને સૌપ્રથમ વેરાવળની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોહિત બે ભાઈમાં મોટો અને તે આજીડેમ માનસરોવરમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે.
17 વર્ષીય સગીર પર ચાલુ બાઈકે કુહાડાથી હુમલો પરાપીપળીયા ગામે રહેતા જયંતિભાઇ દાનાભાઈ રાઠોડ (ઉ.વ.45)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ સોનારાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ ઘરે હતો, ત્યારે કૌટુંબિક ભાઇ જેઠુરભાઇનો ફોન આવેલો કે, તમારા નાના દીકરા કિશનને થોડુ વાગેલું છે, જેથી તેને એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો છું તો તમે હોસ્પિટલ આવો જેથી હોસ્પિટલ પહોંચી જોયું તો પુત્રના કપાળે પાટો બાંધેલો હતો. કપડા પર લોહીના ડાઘા હતા.
જેઠૂરભાઈને બનાવ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, હું અને કિશન ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડથી ક્રિકેટ રમીને ઘરે આવતા હતા. હું બાઇક ચલાવતો હતો અને કિશન પાછળ બેઠો હતો. દરમિયાન પરાપીપળીયાના પાટીયાથી આગળ પહોંચતા રોડ ઉપર વિક્રમ સોનારા સામેથી ચાલીને આવતો હતો અને તેના હાથમાં કુહાડો હતો. તેણે અચાનક જ કોઇ કારણસર અમારી ચાલુ બાઇકમાં કુહાડાનો ઘા મારવા જતા હું નીચે ઝૂંકી ગયેલો હતો. જેથી પાછળ બેઠેલા કિશનને કપાળના ભાગે કુહાડાનો ઘા વાગી ગયો હતો. જેથી બન્ને બાઈક સહિત નીચે પડી ગયા હતા. બાદ વિક્રમે ફરીથી બીજો કુહાડાનો ઉંધો ઘા કિશનના હાથના ભાગે માર્યો હતો અને નાસી ગયો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે વિક્રમ સોનારાને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.