રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના આગેવાનોએ ‘કોંગ્રેસ આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત લોકોની રૂબરૂ મુલાકાતો લઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ડે. મેયર નરેન્દ્રસિંહનાં વોર્ડ નં 3માં પહોંચ્યા હતા. જ્યાં વેપારીઓ અને લોકોની સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો હતો.
આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તો 50 વાર સુધીના મકાનનો વેરો સંપૂર્ણ માફ કરવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ ભાજપનાં શાસનમાં પ્રજા હેરાન-પરેશાન હોવાનો દાવો કર્યો હતો.
શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ શાસિત મ્યુ. કોર્પોરેશન અને કમિશનર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો આગામી સમયમાં કોર્પોરેશનમાં કોંગ્રેસનું બોર્ડ બનશે, તો 50 વાર સુધીના મકાનો ધરાવતા સામાન્ય પરિવારો પાસેથી કોઈપણ પ્રકારનો વેરો વસૂલવામાં આવશે નહીં. હાલ કોર્પોરેશન માત્ર સામાન્ય જનતા અને નાના વેપારીઓ પાસેથી વેરાની ઉઘરાણી કરવામાં વ્યસ્ત છે.