રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ. 30 કરોડના કામો મંજુર, પણ ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદ હજુ યથાવત છે. આજે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ. 30 કરોડથી વધુના 51 જેટલા વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જોકે, આ બેઠક માત્ર વિકાસલક્ષી નિર્ણયો માટે જ નહીં, પણ લાંબા સમયથી ચાલી રહેલા ‘સ્થળાંતર ખર્ચ’ વિવાદને કારણે પણ ચર્ચામાં રહી હતી. સત્તધીશો પાસે વિવાદ અંગે કોઈ સચોટ જવાબ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી ભ્રષ્ટાચારની આશંકાઓ વધુ ઘેરી બની છે.
આ મામલે આજે જિલ્લા પંચાયત ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અંગે તપાસ કમિટી નીમવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે પણ તેની વિગતો મને ખબર નથી. આમ કહીને કાર્યપાલક ઈજનેર ઉપર જવાબદારી નાખી દીધી હતી. જ્યારે કાર્યપાલક ઈજનેર એ માત્ર 19 લાખનો હિસાબ મળ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું.
સમાચારના કેન્દ્રમાં રહેલો મુખ્ય મુદ્દો ‘સ્થળાંતર ખર્ચ’નો વિવાદ છે. રૂ. 84 લાખના કથિત ખર્ચ પૈકી માત્ર રૂ. 19 લાખનો જ હિસાબ મળી શક્યો છે, જે મોટા કૌભાંડ તરફ ઇશારો કરે છે. ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તપાસ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે, પરંતુ તેમને હજુ તેની પૂરી વિગતોની જાણ નથી. બાકીના બિલોની ચુકવણી હજુ થઈ નથી અને આ મુદ્દે વધુ સ્પષ્ટતા માટે જવાબદારી કાર્યપાલક ઈજનેર પર ઢોળી દીધી હતી.