ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસ અને રોગચાળાના ભય વચ્ચે રાજકોટ મહાપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લક્ઝરી દુકાનો અને લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ ફ્લેવરના પાણીના 50 જેટલા નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જોકે આ નમુનાનો રિપોર્ટ આગામી 2 મહિના બાદ આવશે. ત્યાં સુધી આ વેપારીઓ સામે મનપા કોઈ પગલાં લઈ શકશે નહીં.
રાજકોટના મુખ્ય માર્ગો અને ખાણીપીણી માટે જાણીતા વિસ્તારો જેવા કે 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ, કોટેચા ચોક, રેસકોર્સ, સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક રોડ પર ફૂડ વિભાગની ટીમોએ ત્રાટકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન અંદાજે 12 જેટલી મોટી દુકાનો તેમજ અનેક લારીવાળાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોમાં લોકપ્રિય એવી પાણીપુરીની વિવિધ વેરાયટીઓ જેવી કે તીખું, મીઠું, જીરા, લસણ, હાજમા, રેગ્યુલર, જલજીરા, ફુદીના અને ખજૂરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.