રાજકોટમાં ગેંગરેપ આચરી 8 વર્ષની બાળકીની હત્યા કરનાર ત્રણેય નરાધમ 4 દી’ના રિમાન્ડ પર

શહેરના લક્ષ્મીનગર વિસ્તારની 8 વર્ષની બાળકીને અવાવરું સ્થળે લઇ જઇ તેના પર ત્રણ શખ્સે ગેંગરેપ આચર્યા બાદ ફૂલ જેવી બાળકીને પથ્થરના ઘા ઝીંકી તેનું મોઢું છૂંદી નાખી ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા બાદ ચાર દિવસના રિમાન્ડ પર લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લક્ષ્મીનગરમાં રહેતી આકાંક્ષા જગદીશભાઇ સોની નામની 8 વર્ષની બાળકીનું ગત તા.6ના સાંજે તેના ઘર નજીકથી અપહરણ થઇ ગયું હતું અને તા.7ના બપોરે ભક્તિનગર રેલવે સ્ટેશનના યાર્ડ પાછળ અવાવરું સ્થળેથી બાળકીની લાશ મળી આવી હતી.

માસૂમ આકાંક્ષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ થયાનો રિપોર્ટ આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપી રાજસ્થાનના વતની ભરત કેશુ મીણા, ઉત્તરપ્રદેશના વતની અમરેશ ઉર્ફે બ્રિજેશ શંભુ કુલદીપ અને બિહારના વતની મિથિલેશ ઉર્ફે કાણિયો રામનારાયણ દાસને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેયની આગવીઢબે પૂછપરછ કરતાં ત્રણેય નરાધમે વારાફરતી બાળકી પર દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપી હતી અને બાળકીને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની કબૂલાત પરથી આરોપીઓ સામે ગેંગરેપની કલમનો ઉમેરો કર્યો હતો. માલવિયાનગર પોલીસે સોમવારે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ મંગળવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરી ત્રણેયને પોલીસ હવાલે કર્યા હતા. બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાનું કાવતરું ક્યાં રચવામાં આવ્યું હતું તે સહિતના મુદ્ે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *