દિલ્હી વિધાનસભા પરિસરમાં વાંદરાઓના વારંવાર ઘૂસવા અને ઉપદ્રવ મચાવવાની સમસ્યાનો સામનો કરવા માટે વિધાનસભા પ્રશાસને નવી યુક્તિ શોધી કાઢી છે. વાંદરાઓને ભગાડવા માટે લંગૂરના અવાજની નકલ કરનારા લોકોને તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે.
લોક નિર્માણ વિભાગ (PWD)એ લંગૂરોના અવાજ કાઢનારા લોકોની ભરતી માટે ટેન્ડર પણ બહાર પાડ્યું છે. અધિકારીઓના મતે, પહેલા તેમની પાસે લંગૂરની નકલ કરનારા લોકો હતા, પરંતુ તેમનો કરાર સમાપ્ત થઈ ગયો છે.
હવે પ્રશાસન કાર્યકારી દિવસો અને શનિવારે પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાંથી દરેક કર્મચારી 8 કલાકની શિફ્ટમાં કામ કરશે. આ કર્મચારીઓ લંગૂરના અવાજની નકલ કરીને વાંદરાઓને ભગાડશે. નિષ્ણાત પોતાની સાથે એક લંગૂર પણ લાવશે.
અધિકારીઓએ જણાવ્યું કે વિધાનસભાની આસપાસ ડઝનબંધ વાંદરાઓ હાજર રહે છે. તેઓ અવારનવાર તાર અને ડીશ એન્ટેના પર કૂદે છે અને તેમને તોડી નાખે છે. વાંદરાઓથી દિલ્હી વિધાનસભામાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા રહે છે.